ભાવનગરમાં રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે નિર્મિત ઘોઘા તાલુકા પંચાયતના આધુનિક ભવનનું મુખ્યમંત્રી ઘ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

Bhavnagar

ભાવનગર : પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની સીડીપી-૩ યોજના હેઠળ રૂ.૨૩૬.૮૦ લાખના ખર્ચે બનાવેલ ઘોઘા તાલુકા પંચાયત કચેરીના આધુનિક ભવનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની ઘ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પંચાયત રાજ એ ગુજરાતનો આત્મા છે. રાજ્યની ગ્રામ પંચાયતો મીની સચિવાલય બને અને છેવાડાના માનવીના પ્રશ્નને વાચા મળે અને સ્થાનિક કક્ષાએ જ તેનું સુખદ સમાધાન થાય તેવી ભાવનાથી રાજ્ય સરકાર પંચાયતી માળખાને વધુ સક્ષમ અને ટેકનોલોજી યુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં લેવાયેલ નિર્ણયો વિશે જણાવ્યું હતું કે જે જરૂરિયાતમંદ છે છતા યોજનાનો લાભ નથી લઇ શકતા તેવા ૫૦ લાખ લોકોને સરકારે સસ્તા ભાવે અનાજ પુરૂ પાડવાનું આયોજન હાથ ધર્યું છે. વરસાદના કારણે આ વર્ષે ખૂબ સારૂ ખેત ઉત્પાદન થશે પરંતુ જે ખેડૂત ભાઈઓને ચોમાસા દરમિયાન ખેતીમાં નુકશાન થયું છે તેમના માટે રાજ્ય સરકારે ૩,૭૦૦ કરોડનું ખાસ પેકેજ તેમજ સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિતની યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતને સહાયરૂપ થઈ ગામડાને ચેતનવંતુ બનાવવાનું કામ હાથ ધર્યું છે. રાજ્ય સરકારની કોરોના મહામારીમાં નિઃશુલ્ક સારવાર, દવાઓ સહિતની સુવિધાઓ થકી રાજ્યમાં મૃત્યુદર અન્ય રાજ્યના પ્રમાણમાં ઘટ્યો છે તેમજ રિકવરી રેટ ઉંચો ગયો છે. સરકાર દ્વારા લેવાયેલા ત્વરિત અને અસરકારક પગલાંઓ થકી આપણે કોરોના સંક્રમણને અટકાવવામાં સફળ રહ્યા છીએ.

ગામડા સુખી થશે તો શહેર સુખી થશે અને શહેરો સુખી થશે તો જ ગુજરાત સુખી થશે તેમ જણાવી મુખ્યમંત્રીએ નવનિર્મિત આધુનિક તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરી સૌને શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા, તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલ, છોટુભા ગોહિલ, દિવ્યેશભાઈ સોલંકી, સુરૂભા ગોહિલ, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા, ઘોઘા મામલતદાર હેતલબેન મકવાણા સહિતના અધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *