નર્મદા જિલ્લાનું થરી ગામમાં નિશાળ ફળિયું કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર : આ પ્રતિબંધ લાગશે.

Corona Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ – ૧૮૯૭ અન્વયે જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના થરી ગામે કોવીડ-૧૯ ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૨૭/૦૬/૨૦૨૦ થી તા.૧૦/૦૭/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.

તદ્અનુસાર ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ નાંદોદ તાલુકાના થરી ગામના નિશાળ ફળિયું પ્રાથમિક શાળા શ્રી ચંદુભાઈ વેણીભાઈ પટેલના ઘરથી વાઘેલા ઇન્દ્રસિંહ નરપતસિંહના ઘર સુધીના વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયો છે. જેમાં ઘરોની કુલ સંખ્યા (આશરે) ૨૬ અને કુલ વસ્તી (આશરે)-૧૨૯ દર્શાવાઈ છે.

કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના થરી ગામના નિશાળ ફળિયું પ્રાથમિક શાળા શ્રી ચંદુભાઈ વેણીભાઈ પટેલના ઘરથી વાઘેલા ઇન્દ્રસિંહ નરપતસિંહના ઘર સુધીના વિસ્તારમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય ટીમ ધ્વારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. જેથી એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના અન્ય કોઈ પણ રસ્તેથી કોઈ પણ વ્યક્તિ કે વાહન પ્રવેશી ન શકે કે બહાર ન જઈ શકે. આરોગ્ય ટીમે તમામ વ્યક્તિ તથા વાહનોનો વિગતવાર રેકોર્ડ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં બહારની કોઈ પણ વ્યક્તિ અંદર જઈ શકશે નહી તથા આ વિસ્તારના રહેવાસી કોઈ પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં. આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ પર આરોગ્ય ટીમ, આવશ્યક ચીજવસ્તુઓની જાળવી રાખવાની કામગીરી સંભાળતી ટીમ અને પોલીસ ટીમે કંટ્રોલ રૂમ ઉભો કરવાનો રહેશે અને 24*7 રાઉન્ડ ધ કલોક ત્યાંથી તમામ બાબતોનું નિયમન કરવાનું રહેશે. આ કન્ટેન્ટમેન્ટ એરિયામાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. આ વિસ્તારના તમામ રહેવાસીઓ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે તે સ્થાનિક વહીવટીતંત્રએ સુનિશ્ચિત કરવાનું રહેશે. ભારત સરકારશ્રીના કન્ટેન્ટમેન્ટ એરિયા પ્લાનની ગાઈડલાઈનનું ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.

કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયેલ નાંદોદ તાલુકાના થરી ગામના નિશાળ ફળિયું પ્રાથમિક શાળા શ્રી ચંદુભાઈ વેણીભાઈ પટેલના ઘરથી વાઘેલા ઇન્દ્રસિંહ નરપતસિંહના ઘર સુધીના વિસ્તાર સિવાયના થરી ગામના સમગ્ર વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે તથા નિવારક પગલાંના ભાગરૂપે માસ્ક, વારંવાર હાથ ધોવા, વ્યક્તિગત સફાઈ, સામાજીક અંતર વગેરે જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે.

આ જાહેરનામાની અમલવારી તા.૨૭/૦૬/૨૦૨૦ થી તા.૧૦/૦૭/૨૦૨૦ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ-સબ-ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *