ગીર-સોમનાથ જિલ્લા સમાહર્તાશ્રી અજય પ્રકાશ દ્વારા નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભાઓને ઘરમાં જ રહેવા તેમજ લોકોને કામ વગર બહાર ન નીકળવા અનુરોધ

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

કોરોનાના લક્ષણ અંગે લોકો તંત્ર દ્વારા આપેલ નંબર ૦૨૮૭૬-૨૮૫૨૨૪ પર સંપર્ક કરી ઘરબેઠા મેડીકલ માર્ગદર્શન મેળવી શકશે

ગીર-સોમનાથમાં હાલમાં કોરોના વાયરસનુ લોકલ સંક્રમણ વધી રહ્યું છે. રોજ પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. રોજના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે કલેકટરશ્રી અજય પ્રકાશ દ્વારા લોકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, લોકો કામ વગર બહાર નીકળે નહીં સાથે જ નાના બાળકો, બીમાર લોકો વૃધ્ધો અને સગર્ભાઓને સંક્રમણથી બચાવવા માટે ખાસ ઘરની બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે, સાથે જ જિલ્લા સમાહર્તાશ્રી અજય પ્રકાશે ગીર સોમનાથના લોકોને કોરોના વાયરસની મહામારી સામે લડવા જિલ્લાના તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભીડવાળા સ્થળો પર જવાનું ટાળો, એકબીજા સાથે સલામત અંતર બનાવો, નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરો,વારંવાર પાણી અને સાબુથી આપણે હાથ હોવા જોઇએ અને જો હાથ ધોઇ શકવાની વ્યવસ્થા ન હોય તેવા સમયે આલ્કોહોલબેઝ સેનીટાઇઝરનો પણ ઉપયોગ કરો. જાહેરમાં થૂંકો નહીં અને આપની આજુબાજુ કોઈ પણ જગ્યા ઉપર પાન ખાઈને લોકો થૂંકતા હોય તો તેને અટકાવવાનો પ્રયાસ કરો.

ગીર-સોમનાથ જિલ્લાના કોરોના વાઇરસના ૬૪ કેસો નોંધાયા છે. ૫૦ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. ૧૩ દર્દી સારવાર હેઠળ છે. ૦૧ દર્દીનું મૃત્યુ થયેલ છે. ૦૭ કોરોના વાઇરસના દર્દી અન્ય રાજ્ય / જિલ્લાના નોંધાયેલ છે.

આ સમયે ગીર સોમનાથ ની જનતાને વિનંતી કરતા કલેકટરશ્રીએ કહ્યું કે, લોકો આ ભગીરથ પ્રયાસમાં સરકારને સહયોગ આપે જેથી આ મહામારીથી બચવા માટે યોગ્ય પગલાં લઈ શકાય સાથે-સાથે તંત્ર દ્વારા કોરોના હેલ્પલાઇન નં. ૦૨૮૭૬-૨૮૫૨૨૪ કાર્યરત છે. આ નંબર ઉપર આપ સંપર્ક કરીને કોરોના બાબતે આપને એવું અનુભવાય કે, કોરોનાના લક્ષણો જેવા કે તાવ-શરદી વગેરે, આપમાં જણાય છે અથવા તો પરિવારના કોઇ પણ વ્યક્તિમાં આ લક્ષણો જણાયા છે તો આ નંબર પર સંપર્ક કરીને અને હોસ્પિટલમાં આવ્યા વગર સીધા જ ડોકટર સાથે વાત કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *