રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાના ફતેપુરામાં અનધિકૃત રીતે ખાતરના જથ્થાનું વેચાણ અને સંગ્રહ કરતાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. ખેતી અધિકારી, ફતેપુરા દ્વારા તપાસ દરમિયાન ખંડેલવાલ કૃષ્ણકુમાર નંદકિશોરને રૂ. ૧૨૧૦૦/-ની કિંમતના ખાતરના ૧૨ થેલાઓને લાયસન્સ વિના વેચતા જણાતા જપ્ત કરવામાં આવ્યા છે.
દાહોદના નાયબ ખેતી નિયામક એ આપેલી માહિતી મુજબ, કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કરી રહ્યા હતા. આ ખાતરના જથ્થામાં ૧૦ બેગ નાઇટ્રો ફોરેસ્ટ ૫૦ કિ.ગ્રા. અને હિન્ડાલકો લિ. ની ખાતરની ૨ બેગ ડીએપી જેની કિંમત રૂ.૧૨૧૦૦/- જેટલી થાય છે તે જપ્ત કરવામાં આવી છે. કંપનીઓ લાયસન્સ વિનાના ડિલરોને ખાતર સપ્લાય કરે છે તેમની પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દાહોદના નાયબ ખેતી નિયામકએ ખેડૂતોને ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવા માટે જણાવ્યું છે.