સંખેડાના કંડેવાર વસાહતમાં કોતર ઉપરના ભંગાણ થયેલા નાળા પરથી પસાર થતી ટ્રકનું પાછળનું ટાયર તેમા ઉતરી જતા ટ્રક પલટી મારી હતી.જેના પગલે કોતરના પાણીમાં નાહવા અને નાળાની પારી ઉપર બેઠેલા બે બાળકો ગંભીર રીતે ઘવાયા છે. ટ્રકના એંગલ અને નાળાની પારી વચ્ચે ફસાયેલા એક બાળકને મહામહેનતે ગ્રામજનોએ બહાર કાઢયો હતો.ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે 108 મારફતે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લવાયા બાદ વડોદરા રીફર કરાયા છે.
સંખેડા તાલુકાની કંડેવાર વસાહત પાસે પસાર થતી કોતરના પાણીમા બાળકો નહાતા હતા.નજીકના ખેતરમાંથી મકાઇના લાટા ભરેલી ટ્રક નીકળી હતી.કોતર ઉપરના નાળા પરથી પસાર થતી હતી. એ વખતે ટ્રકનું પાછળનું ટાયર નાળામાં ભંગાણ થતા તેમાં ઉતરી જતા ટ્રક ચાલકે ટ્રક ઉપરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક પલટી ખાઇ ગઇ હતી.ટ્રક પલટી ખાતા કોતરમાં નહાતા બાળકો પર ખાબકી હતી,પરંતુ તેની અડફેટમાં આવતા બચી ગયેલા બાળકો નાસી ગયા હતા.બે બાળકો કિરિતાબેન ભીલ(ઉ.વ.૯) અને તુલસીભાઇ ભીલ(ઉ.વ.૮)ને ગંભીર ઇજા થવા પામી હતી.
સ્થાનિકોના જણાવ્યાનુસાર ટ્રક પલટી ખાતા નાળાની પારી ઉપર એક છોકરો બેઠો હતો. તેની ઉપર જ ટ્રકના ફાલકાની એંગલ પડી હતી. જેથી એંગલ અને નાળા વચ્ચે આ છોકરો ફસાઇ ગયો હતો.આ બાળકને વસાહતના રહિશોએ એક લગાવીને ઉંચો કરીને બહાર કાઢયો હતો.આ બનાવ અંગે ૧૦૮ ઇમરજંસી એમ્બુલંસને જાણ કરાતા તુરત જ ૧૦૮ એમ્બુલંસ કંડેવાર વસાહત ખાતે પહોચી હતી.બન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. વધુ સારવારની જરૃરીયાત હોઇ તેઓને વડોદરા એસ.એસ.જી.હોસ્પીટલમાં રીફર કર્યા હતા .