રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં બીનજરૂરી રીતે બહાર ના નીકળવાની જાહેર અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. છૂટછાટ કોરોનાએ લીધી નથી. એટલે હજુ પણ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.
કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરિયાતમંદ, નાનામોટા વેપારીઓ અને શ્રમિક વર્ગના લોકોની સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા ગત્ત તા. ૧૭મીથી લોકડાઉન હળવું કર્યું છે અને કેટલીક પ્રવૃત્તિને મંજૂરી આપી છે. હવે આપણે સૌએ જવાબદારી નાગરિક તરીકે વર્તવાનું છે. બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહી. નીકળવાનું થાય ત્યારે કામ પૂરી સીધું ઘરે આવી જવું. હોમ ક્વોરોન્ટાઇનના નિયમનું પાલન કરવું ખૂબ જ આવશ્યક છે અને એમાં જ કોરોના વાયરસની હાર છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, લોકડાઉન હળવું થતાં બહારના જિલ્લા અને રાજ્યમાં અવરજવર વધી છે. અનિવાર્ય હોય તો બહારના જિલ્લા કે રાજ્યોનો પ્રવાસ કરવો જોઇએ. આવા સંજોગોમાં એસએમએસના સિદ્ધાંતનું પાલન કરવું. એસએમએસ એટલે સેનિટાઇઝેશન, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ,બહારના રાજ્ય કે જિલ્લામાં ફસાયેલા હતા અને તે લોકો દાહોદમાં પરત આવતા લોકોએ હોમ ક્વોરોન્ટાઇનના નિયમોનું પાલન કરવું.
કલેક્ટરશ્રીએ કહ્યું કે, ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકો, ૧૦ વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા મહિલાઓ કોરોના વાયરસના વલ્નેરબલ ગ્રુપમાં આવે છે. તેને વાયરસ લાગવાની શક્યતા વધુ છે. ત્યારે, આ ગ્રુપના પરિવારના સભ્યો ઘરની બહારના નીકળે તે બાબતની સૌ કોઇ કાળજી લે એ જરૂરી છે.