સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ચકાસણી માટે આવે તે પૂર્વે કોર્પોરેશન દ્વારા ઉપરછલ્લા દેખાડા માટે જાહેર યુરીનલમાં તાબડતોબ નવા યુરીનલ પોર્ટને નળ સહિતના સાધનો મુકવામાં આવ્યા પરંતુ વર્ષોથી યુરિનલ પર રખાયેલી ટાંકીમાં પાણીની આ કરવામાં આવી નથી. છેલ્લા એક વર્ષમાં ત્રીજીવાર યુરીનલ પોટ મૂકવામાં આવ્યા તે જ તંત્રની બેદરકારી અને પ્રજાની જાગૃતિનો અભાવ છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખાતી સ્વચ્છતા અને વ્યવસ્થા બાબતે સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ એકાદ દિવસમાં આવી પહોંચશે. પરંતુ ટીમ પાસે તંત્રની બેદરકારી છતી ન થાય તે માટે દોડધામ કરી રહ્યા છે. જાહેર યુરીનલમાં અસુવિધાઓ બાબતે દર વખતે માર્ક કપાઈ જાય છે તે માટે યુરીનલમાં નવા પોટ, નળ અને પાઇપલાઇન સહિતની રાતોરાત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ દરબારી કોઠાર પાસે આવેલા જાહેર યુરીનલમાં છેલ્લા એક વર્ષમાં ત્રીજી વખત યુરીનલના પોટ સહિતના સંસાધનો મુકવામાં આવ્યા છે. પ્રજાની જાગૃતિના અભાવે યુરીનલ પોટને તોડી નાખવામાં આવે છે જ્યારે બીજી તરફ કોર્પોરેશનની બેદરકારી એટલી હદે છે કે નવા યુરીનલ પોટ અને નળ સહિતના સાધનો તો મુક્યા પરંતુ તે નળ અને યુરીનલમાં પાણી આવે તેવી કોઈ શક્યતા નથી. કારણકે, વર્ષોથી યુરીનલ પર મૂકેલી ટાંકીમાં પાણીની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. જેથી સ્વચ્છતા સર્વેક્ષણ ની ટીમને બહારથી દેખાડા માટે લાખો રૂપિયાનો કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે પરંતુ વાસ્તવમાં અંદરથી બધું પોલમ પોલ હોવાનો જાહેર યુરીનલ તાદ્રશ્ય દાખલો છે.
