સાચા કોરોના વોરિયર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા વડોદરાના નર્સ કાનન સૌરવ સોલંકી

vadodara

સાચા કોરોના વોરિયર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ બન્યા વડોદરાના નર્સ કાનન સૌરવ સોલંકી: સર્ગભા હોવા છતાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા કોરોનાગ્રસ્ત થયા બાદ અધૂરા માસે બાળકીને જન્મ આપી, ૫૩ દિવસ બાળકીને હોસ્પિટલમાં રાખવી પડી, 9 લિટર ધાવણ બેંકમાં જમા કરાવ્યું.

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. ત્યારે આરોગ્ય કર્મીઓ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે.આવા જ એક કોરોના વોરિયર્સ તરીકે વડોદરામાં સયાજી હોસ્પિટલના નર્સ તરીકે કાર્યરત કાનન સૌરવ સોલંકીએ કોરોના મહામારીમાં સગર્ભા હોવા છતાં કોરોના વોર્ડમાં નિર્ભયતા પૂર્વક દર્દીઓની સારસંભાળ કરી હતી. કોરોના એ તેમને પણ બાન માં લીધા હતા અને અધૂરા માસે બાળ જન્મ છતાં નાસીપાસ થયા વગર બાળ જન્મ અને પોતાના બાળકને ધાવણ આપ્યા પછી વધારાના દૂધનું માતૃ દૂધ બેંકમાં દાન કરવાની માનવતા તેમને બતાવી છે. નર્સ કાનન સૌરવ સોલંકીની આ માનવતા પ્રબળ નારી શક્તિનો પુરાવો છે અને આ કળયુગ માં એક પ્રેરક કિસ્સો છે.

વડોદરામાં લગ્નના વર્ષો પછી ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી સગર્ભા નર્સે 7 મહિના સુધી કોરોના વોર્ડમાં ફરજ બજાવી હતી.કોરોનાના દર્દીઓની સારવાર કરતા કરતા તેઓ ખુદ કોરોના સંક્રમિત થયા બાદ અધૂરા માસે 1 કિલો વજન ધરાવતી બાળકીને જન્મ આપ્યો. અને સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકમાં પોતાના બાળકની જરૂરિયાત કરતા વધારાના દૂધનું 53 દિવસ સુધી દાન કર્યું

વડોદરાની સયાજી હોસ્પિટલ પરિવારે પોતાની આ મહાન નારીને માત્ર કોરોના વોરિયર નહીં પણ ત્રિદેવી યોદ્ધાનું વ્હાલભર્યું ઉપનામ આપી ને પ્રોત્સાહિત કર્યા હતા. અને સાવ નબળા શરીરે અને અધૂરા માસે જન્મીને માતાની તાકાતથી જીવન જીવવા માટે સંઘર્ષ કરતી બાળકી ગ્રિવાને સાંકળી લઇએ તો આ માં દીકરી ચતુર્ભુજ દેવીથી કમ નથી, એવી પ્રતિતી થાય છે. કાનન સોલંકી સયાજી હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી સ્ટાફ નર્સ તરીકે સેવા આપે છે. તેમના પતિ સૌરવ દવા કંપનીના કર્મચારી છે. આ દંપતી લગ્નના વર્ષો થવા છતાં સંતાન સુખથી વંચિત હતું. એટલે તેમણે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિનો આશ્રય લીધો અને કુદરતે સાથ આપતા કાનન બેન સગર્ભા થયા હતા.

સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી કોવિડ મહામારીની કટોકટી શરૂ થઇ, કાનને ધાર્યું હોત તો મહામૂલા ગર્ભની રક્ષા માટે તે રજા લઇ શકી હોત અથવા અન્ય બિનજોખમી વોર્ડમાં ફરજ માંગી શકી હોત, પરંતુ, આ વીર નારીએ દર્દીઓની સેવાને અગ્રતા આપીને કોવિડ વોર્ડમાં જ ફરજો બજાવવાનું સ્વીકાર્યું અને ગર્ભાવસ્થાના સાતમા મહિના સુધી અવિરત ફરજો બજાવી અને પોતાના ગર્ભમાં રહેલા બાળકને પણ સાચવ્યું હતું.

જોકે ઓગસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત થયા. લક્ષણો ખુબ ઓછા હતા એટલે હોમ ક્વોરન્ટીન થઇને નિર્ધારિત સારવાર લેવાનું શરૂ કર્યું. જાતે નર્સ હોવાથી કેવી કાળજી રાખવી એનું તેમને જ્ઞાન હતું. તેવામાં એક અણધારી મુશ્કેલી સર્જાઇ, ગર્ભજળનો સ્ત્રાવ શરૂ થયો, કાનનને આ ઘટનાની ગંભીરતાનું ભાન હતું જ. તેમણે તુરંત જ ખાનગી તબીબનો સંપર્ક કર્યો, જેમણે કોવિડનો ચેપ હોવાથી સયાજી હોસ્પિટલની મદદ લેવા સલાહ આપી અને સયાજી હોસ્પિટલ તો સ્ટાફ નર્સ કાનન માટે પિયર સમાન હતી.

કાનનને દાખલ કરીને ગાયનેક વિભાગના વડા ડો.ગોખલે અને ડો.સોનાલીની ટીમે સ્થિતિની ગંભીરતા જોઈને અધૂરા માસે શસ્ત્રક્રિયા દ્વારા પ્રસૂતિ કરાવવાનો સમય સૂચક નિર્ણય લીધો. આ સ્થિતિને ખુબ સારી રીતે સમજતી કાનને પોતાના બાળકને બચાવવાના આ એકમાત્ર ઉપાય માટે સંમતિ આપી હતી. ડો.ગોખલે અને ડો.સોનાલીની ટીમે ખુબ સાવચેતી સાથે પ્રસૂતિ કરાવી અને માત્ર 1 કિલો જેટલું વજન ધરાવતી અને ખુબ નબળી બાળકીનો અધૂરા માસે સલામત જન્મ થયો. આ બાળકીને જીવતી રાખવા પ્રથમ 15 દિવસ વેન્ટિલેટર કેર હેઠળ રાખવી અનિવાર્ય હતી. એટલે માતા માટે આ વ્હાલની પોટલીને સ્તનપાન કરાવવું શક્ય ન હતું. બ્રેસ્ટ મિલ્ક પંપની મદદથી માતાનું દૂધ વાટકીમાં એકત્ર કરી માસૂમને પ્રથમ ધાવણ આપવાનું ચાલુ કરવામાં આવ્યું. બાળકોના નિષ્ણાત તબીબો ડો.શીલા ઐયર, ડો. શ્વેતલ પરીખ અને ડો.નવાઝ પટેલે આવા અધૂરા માસે જન્મેલા, સાવ ઓછું વજન ધરાવતા અને નબળા શિશુઓને સાચવવાની કાંગારુ કેર સહિતની તમામ અદ્યતન પરંપરાઓનો વિનિયોગ કર્યો અને ગ્રિવાનું નામ પામેલી આ નવજાત બાળકીમાં જીવનની ચેતના સંવર્ધિત કરી.

કાંગારુ કેર એ આ નામના વિદેશી પ્રાણીમાં નવજાત બાળકને સાચવીને ઉછેરવાની, માતાના શરીર સાથે જોડાયેલી કોથળી જેવી કુદરતી રચના આધારિત પદ્ધતિ છે. કાંગારુ માતાના દેહ સાથે કોથળીમાં રહેલું બચ્ચુ સતત જોડાયેલું રહે છે અને માતાના શરીરની લાગણીભરી ઉષ્મા તેના ઊછેરને પ્રોત્સાહિત કરે છે. કાંગારુ કેરમાં એ રીતે જ માનવ માતાના હૃદય સાથે એક કોથળીમાં નવજાત બાળકી ને છાતી સરસી રાખવામાં આવે છે અને આ રીતે તેના ઉછેરને વેગ મળે છે. અહીં એક સુખદ ઘટના એ પણ બની કે કાનન જ્યારે કોઈ કારણસર ગ્રીવાને કાંગારુ કેર ન આપી શકે, ત્યારે તેની સાથી નર્સ બહેનો કાંગારુ કેર આપી માતૃત્વનો લ્હાવો લેતી.

માતાની મમતા અવિભાજીત રહેતી નથી એ પોતાના અને અન્યના સંતાનોમાં સતત વહેંચાતી રહે છે. કાનનના કિસ્સામાં પણ એવું જ થયું. એની બાળકીને જરૂર હોય તે કરતા વધુ ધાવણ આવતું હતું. એટલે કાનને વધારાના દૂધનું સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકને રોજરોજ દાન આપવાનું શરૂ કર્યું. એણે લગભગ 53 દિવસમાં 9.23 લિટર જેટલું જેની કોઈ કિંમત ન આંકી શકાય એવું અમૂલ્ય માતૃ દૂધ બેંકમાં જમાં કરાવ્યું જે માતાની મમતા રૂપે આવા દૂધની જરૂરવાળા નબળા, અધૂરા માસે જન્મેલા બાળકોમાં જીવન શક્તિ રૂપે વહેંચાયું. કાનન આ માતાના દૂધની બેંકની સૌથી વધુ ધાવણ દાન આપનારી દાતા બની છે. કાનન અને તેની નવજાત બાળકીને 53 દિવસની મેરેથોન સારવાર સયાજીમાં મળી છે. આજે બંને સ્વસ્થ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *