રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
મંજૂર થયેલી તમામ યોજનાઓ ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ
જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે યોજાયેલી જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક
નર્મદા જીલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૨૩ ગામોના કુલ- ૩,૯૬૦ ઘરોને આવરી લેતી રૂ.૬૪૪.૧૦ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામિણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આજે યોજાયેલી ઉક્ત બેઠકમાં મંજૂર કરાયેલી પીવાના પાણીની પેયજળ યોજનામાં જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા, ગોડદા, ચોપડવાવ, ધવલીવેર, ગરૂડેશ્વર તાલુકાના કલીમકવાણા, સિંધીયાપરા, ભુમલીયા, ચીચડીયા, ગભાણા, ભીલવશી, સમશેરપુરા, ડેડીયાપાડા તાલુકાના નિંગટ, જરગામ, નવાગામ(ડેડીયાપાડા), ઘાટોલી, તિલકવાડા તાલુકાના વજીરીયા, કોયારી, નાંદોદ તાલુકાના જુનાઘાંટા, ગુવાર, મહુડીપાડા, ભચરપાડા, હજરપરા, ઢોલાર ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.
સમિતિના ઉપાધ્યક્ષશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ જીન્સી વિલિયમ, સમિતિના સભ્ય સચિવશ્રી અને કાર્યપાલક ઈજનેરશ્રી(વાસ્મો)શ્રી વિનોદ પી પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ, ડીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી પટેલ, ટ્રાયબલ સબ પ્લાન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, શિક્ષણ, સિંચાઇ વિભાગનાં સંબંધિત અધિકારીશ્રીઓ ઉપરાંત વાસ્મોના જીલ્લા કો-ઓર્ડીનેટરશ્રી રાકેશ ચૌધરી તથા વાસ્મોના અન્ય પ્રતિનિધિઓ સહિત વગેરે વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી મનોજ કોઠારી દ્વારા જિલ્લામાં મંજૂર થયેલી ઉક્ત પેયજળ યોજના ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ તે જોવાનો અમલીકરણ અધિકારીશ્રીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
આજની આ બેઠકમાં શ્રી કોઠારીએ કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ જિલ્લાની મંજૂર થયેલી યોજનાની તાલુકા મુજબ સમીક્ષા કરાઇ હતી તથા ૧૦૦ % નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજુ કરેલ આયોજન મુજબ સમયમર્યાદામાં કામગીરી પુર્ણ કરવા હિમાયત કરી હતી.