નર્મદા જિલ્લામાં “જલજીવન મિશન” અંતર્ગત ઘર ઘર નળ જોડાણની વાસ્મોની કામગીરીનું આયોજન ત્રણ માસમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડનો અનુરોધ.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંર્વધન વિભાગના રાજય મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે આજે સવારે નર્મદા જિલ્લાના રાજપીપલા સરકીટ હાઉસ ખાતે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ , જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ સહિત પાણી પુરવઠા અને વાસ્મોના ઇજનેરશ્રીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં તાપી આધારિત રૂા. ૩૦૯ કરોડની દેડીયાપાડા અને સાગબારા તાલુકા અને સોનગઢ તાલુકાના કુલ-૨૦૫ ગામોના વિસ્તારને આવરી લેતી શુધ્ધ પીવાના પાણીની યોજનાની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી સંબંધિત અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે યોજાયેલી ઉકત સમીક્ષા બેઠકમાં દેડીયાપાડા અને સાગબારા એમ બંન્ને તાલુકા વિસ્તારની ઉકાઇ જળાશય આધારિત શુધ્ધ પીવાના પાણીની ઉકત યોજના અંતર્ગત તાપીથી પાણી લઇને જે તે વિસ્તારમાં દરેક ગામોના સંપ સુધી પહોંચાડવાનું કામ એજન્સીએ પુરૂં કર્યું છે અને ગામના સંપ સુધી આજે પીવાનું શુધ્ધ પાણી મળી રહયું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજય સરકાર તેમજ અહીંના જાગૃત સાંસદ મનસુખભાઇ વસાવાના નેતૃત્વમાં કેન્દ્રની “જલજીવન મિશન“ અંતર્ગત “નલ સે જલ“ યોજના મારફત પ્રજાજનોને ઘરે ઘરે પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા તથા વાસ્મોના સંયુકત પ્રયત્નોથી આયોજનબધ્ધ રીતે યોજનાકીય કામગીરી આકાર લે તથા તેના ઝડપી અમલીકરણ થકી સાચા અર્થમાં આશિર્વાદરૂપ નિવડે તે માટેની ઝીણવટપૂર્વકની સમીક્ષા કરાઇ હતી.

બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં મંત્રીએ તમામ યોજનાઓની કામગીરીના તાંત્રીક પાંસાઓને ધ્યાનમાં રાખીને ચુસ્ત મોનીટરીંગ ધ્વારા અસરકારક રીતે અમલીકરણ થાય તેની કાળજી લેવા સૂચના આપી હતી. મંત્રીએ વધુમાં સાગબારા-દેડીયાપાડા જુથ પાણી પુરવઠા યોજના અસરકારક રીતે લોકોપયોગી બને તે માટે વાસ્મોની ઘર જોડાણની યોજના ત્રણ માસમાં તૈયાર કરી દેવા અમલીકરણ અધિકારીઓને સૂચના પણ મંત્રી ધ્વારા અપાઇ હતી.

બેઠકમાં ચર્ચા દરમિયાન સાંસદ મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પાણી પુરવઠા અને વાસ્મો ધ્વારા થયેલી કામગીરીનો ઉલ્લેખ કરી વાસ્મો અંતર્ગત જૂની ફળીયા આધારિત યોજનાઓમાં સુધારણાના કામો પણ સત્વરે હાથ પર લેવા તથા સમાંતરે આખા ગામને આવરી લેતી ઘર ઘર નળ યોજના ઝડપથી અમલમાં આવે તે મુજબની કાર્યવાહી હાથ ધરવા સૂચન કર્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઉકત યોજનાનું પાણી લોકો સુધી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ ધ્વારા ગામની હયાત વ્યવસ્થા સાથે યોજનાને જોડીને હાલમાં પાણી પુરૂં પાડવામાં આવી રહેલ છે.

બેઠક બાદ મંત્રી બચુભાઇ ખાબડે સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી ધનશ્યામભાઇ દેસાઇ અને પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આર.એ.પટેલ અને વાસ્મોના કાર્યપાલક ઇજનેર વી.પી.પટેલ સાથે ઉકાઇ જળાશય આધારીત ઉકત જુથ પાણી પુરવઠા યોજના હેઠળ થયેલી કામગીરી સંદર્ભે નિવાલ્દા,કાકરાપાડા અને કેવડી તથા દાભવણ(મુખ્ય હેડવર્ક) ની સ્થળ મૂલાકાત લઇ થયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ઇજનેરઓ પાસેથી તેમણે યોજનાની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રી ખાબડે સંબંધિત ગામના અગ્રણીઓ અને સરપંચઓને યોજનાથી વાકેફ કરતા થયેલ કામગીરી પરત્વે વાસ્મો અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે તેઓને માર્ગદર્શન પુરૂ પાડી ગ્રામ પંચાયતની આગેવાની હેઠળ જવાબદારીપૂર્વક આગળની જરૂરી કામગીરી અંગે સક્રિય ભાગ ભજવવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *