કોરોના વાયરસને કારણે ૫૧ શક્તિપીઠમાનું એક અંબાજી માતાનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે આજથી ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થાય છે. આ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાનાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે કોરોના વાઇરસને કારણે તેઓ આવી શકે નહિ, તો આવા ભક્તો તેમજ દેશ-વિદેશના પણ કરોડો માઇભકતો માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઈતિહાસમાં પહેલીવાર ઘટ સ્થાપન અને માતાજીની આરતી લાઇવ નિહાળી શકાશે. અંબાજી મંદિરનાં ગર્ભગૃહમાં ભક્તો જે રેલિંગ પાસે ઉભા રહે છે ત્યાં ત્યાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન કરવામાં આવશે. ઘટસ્થાપનનો સમય સવારે 8:15થી 8:45 નો રહેશે જેનું લાઈવ પ્રસારણ માઇભક્તો નીહાળી શકશે.
ભારતભરમાં પ્રસિદ્ધ એવા યાત્રાધામો જે ચૈત્ર નવરાત્રિ દરમિયાન શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના મંદિરોમાં માતાજીના દર્શન માટે કરોડો ભક્તો ઉમટી પડતા હતા. પરંતુ આ વખતે કોરોના વાયરસના કારણે તમામ મંદિરોના દ્વાર કર્ફ્યુ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે માતાજીના કેટલાક પ્રખ્યાત મંદિરોમાં દર્શન માટે વેબકાસ્ટિંગના આયોજન કરવામાં આવ્યા છે. શક્તિપીઠ અંબાજી સહિતના માતાજીના મંદિરમાં આજથી વિધિવત્ રીતે ઘટ સ્થાપન કરાશે જે લાઈવ જોઈ શકાશે.