ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ગઈ કાલે કરેલા લોકડાઉનને લઈને આજે સવારથી આણંદ જિલ્લામાં ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. આણંદ શહેર ઉપરાંત જિલ્લાના ઉમરેઠ, બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, આંકલાવ, સોજિત્રા સહિતના વિવિધ તાલુકા મથકો ખાતે લોકડાઉનની અસર જોવા મળી હતી અને મોટાભાગના બજારો બંધ રહેવા પામ્યા હતા. લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરી જિલ્લાવાસીઓને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ હતી. મોટાભાગના તમામ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આણંદ શહેરમાં પ્રવેશવાના તમામ મુખ્ય માર્ગો સીલ કરી સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જો કે કેટલાક શહેરીજનો પોતાના ટુવ્હીલર સાથે સવારના સુમારે લોકડાઉનની અસર જોવા નીકળી પડયા હતા. તો કેટલાક ઠેકાણે યુવકો ટોળે વળી લોકડાઉનની ચર્ચા કરતા નજરે પડયા હતા. જો કે પોલીસે આવા તમામ સામે લાલ આંખ કરી તેઓને ઘરમાં રહેવા માટે ખાસ અપીલ કરી હતી. કામકાજ સિવાય લટાર મારવા બહાર નીકળતા યુવકોને પોલીસે કાયદાનો પાઠ ભણાવી કેટલાકને ઉઠ-બેસ કરાવી હોવાના કિસ્સા પણ જોવા મળ્યા હતા.