રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આ ઘર્ષણ મામલે છોટુ ભાઈ વસાવા અને મહેશ વસાવાએ પીએમ મોદીને ફરિયાદ કરતો પત્ર લખ્યો.
કોરોનાની મહામારીમાં લોકડાઉન દરમિયાન રોજગારી અર્થે અન્ય શહેરોમાં ગયેલા આદિવાસીઓ પોતાના વતનમાં પરત ફર્યા છે. એ પૈકી મોટે ભાગના આદિવાસીઓની હાલત દયનિય બની છે. તો બીજી બાજુ લોકડાઉન દરમિયાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તંત્ર દ્વારા કરાઈ રહેલી તાર-ફેનસિંગ કામગીરીનો પણ સ્થાનિક આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, રોજે રોજ પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણના બનાવો બને છે. તો આવા જ ગુજરાતના આદિવાસીઓના અન્ય વિવિધ વિકટ પ્રશ્નો મુદ્દે આદિવાસી નેતા અને ધારાસભ્ય પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ પીએમ મોદીને ફરિયાદ કરતો એક પત્ર લખ્યો છે.
તેમના પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતના ભરૂચ, નર્મદા સહીત અન્ય આદિવાસી જિલ્લાઓમાં આદિવાસીઓના આવાસ, રોજગાર, સ્વાસ્થ્ય, જંગલ, જમીન, ખનીજ તથા સિંચાઈ સંબંધિત સમસ્યાઓનું હવે નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે. કેન્દ્ર સરકારનો પેસા કાયદો અને સંવિધાન 5ની અનુસૂચી પૂર્ણ સ્વરૂપે લાગુ કરવું જોઈએ.1961-62 માં નર્મદા ડેમ બનાવવા આદિવાસીઓની જમીન સંપાદિત થઈ હતી, બાદમાં ડેમ બીજે બન્યો.
કેવડીયા ખાતે આદિવાસીઓ સાથે જે અમાનવીય અત્યાચાર થાય છે સરદાર સરોવર પરિયોજનાઓનો લાભ સ્થાનિક અદિવાસીઓને મળતો નથી. અમારા વિસ્તારમાં કૃષિ અને ઔદ્યોગિક મજૂરોને સમયસર વેતન મળતું નથી, આદીવાસી વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્ત્રોત વધારવા વોટર રિચાર્જ યોજના લાગુ કરવી જોઈએ. આદિવાસીઓ પાસે ખેતીલાયક જમીન નથી, જંગલના અધિકાર અમલ થતા નથી. આદિવાસી વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં અપર્યાપ્ત માત્રામાં દવા, મેડિકલ સ્ટાફ હોવાથી આદિવાસીઓએ સારવાર માટે શહેરી વિસ્તારોમાં જવું પડે છે.
ગુજરાત રાજ્યસભાની ૪ બેઠકો માટેની આગામી 19 મી નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. હાલની સ્થિતિ મુજબ કોંગ્રેસ ૧ અને ભાજપ ૩ બેઠકો પર જીતી શકે એમ છે. પણ આ જીત BTP ના બે ધારાસભ્યો છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા પર નિર્ભર છે. જો સરકાર કેવડિયા બાબતે આ બન્નેવ ધારાસભ્યોની વાત નહિ માને તો ભાજપ માટે રાજ્યસભાની ૩ બેઠકો જીતવી અઘરી થઈ પડે છે. આ બાબતે ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સભામાં કોને મત આપવો એ મામલે અમે હજુ સ્પષ્ટ નથી.